મંગલા ચરણમ્

ચિંતા, સંતાન, હંતારો, યત્પાદાંબુજરેણવઃ ।
સ્વીયાનાં તાન્નિજાચાર્યાન્,પ્રણમામિ મુહુર્મુહુઃ ॥૧॥

અર્થ: જેમના ચરણકમળની ૨જ પણ પોતાના સેવકોની બધી  ચિંતાઓની નાશ  કરે છે. તેવા મારા આચાર્ય શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરૂ છું || ૧ ||

યદનુગ્રહતો જન્તુઃ, સર્વદુઃખાતિગો ભવેત્ ।
તમહં સવૅદા વન્દે, શ્રીમદ્ વલ્લભનંદનમ્ ॥૨॥

અર્થ: જેમના અનુગ્રહ માત્રથી જીવ  બધા  દુઃખને દૂર કરવા સમર્થ  થાય છે એવા શ્રીમદ્ વલ્લ્ભનંદન  શ્રી વિઠ્ઠલનાથજી  – ગુંસાઈજી ને હું  સર્વદા વંદન કરૂ  છું . || ૨ ||

અજ્ઞાનતિમિરાન્ધસ્ય, જ્ઞાનાંજનશલાકયા ।
ચક્ષુરુન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરુવે નમઃ ॥3॥

અર્થ: અજ્ઞાનના અંધકારથી બંધ થઈ ગયેલો અમારા ચકસુ ઓને જેમણે જ્ઞાનની પ્રકાશિત શલાકાથી ઉઘાડી  નાખ્યા એવા ગુરુદેવને હું  નમન કરૃ છું. || ૩ ||

નમામિ હૃદયે શેષે, લીલાક્ષીરાબ્ધિશાયિનમ્।
લક્ષ્મીસહસ્ત્રલીલાભિઃ, સેવ્યમાનં કલાનિધિમ્ ॥૪॥

અર્થ: મંગલાચરણની હવે પછીની બને કારિકાઓ, ચોથો  અને પાંચમો  શ્લોક શ્રી મહાપ્રભુજી વિરચિત ભાગવતજીની દશમસ્કન્ધ પરની સુબોધિનીજી ટીકાના મંગલાચરણ નો છે. આ શ્લોકમાં મહાપ્રભુજી કહે છે કે શેષરૂપી મારા હૃદયમાં લીલારૂપી  ક્ષીરસાગરમાં શયન કરતા હજારો લક્ષ્મીઓ અને તેમની લીલાઓથી સેવતા કલાનિધિ પૂર્ણ પુરષોતમ શ્રીકૃષ્ણને હું નમન કરું  છું. || ૪ ||

ચતુર્ભિશ્ચ, ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ।
ષડ્ ભિર્વિરાજતે યોસૌ, પંચધા હ્રદયે મમ ॥પ॥

અર્થ: ચારથી, ચારથી, ચારથી, ત્રણથી અને છથી એમ પાંચ પ્રકારે જે મારા હૃદય માં બિરાજે છે.  તેમને નમન કરું છું.

આ કારિકામાં મહાપ્રભુજી દશમસ્કંધના  પ્રકરણના અર્થરૂપ ભગવાનને નમન કરે છે. દશમસ્કંધના શ્રી મહાપ્રભુજીએ પાંચ પ્રકરણ પાડયા છે.

(૧) જન્મપ્રકરણ — જેના ચાર અધ્યાય છે. 

(૨) તામસપ્રકરણ – જેના ચાર અવાંતર પ્રકરણ છે. 

(૩) રાજસપ્રકરણ – જેના ચાર અવાંતર પ્રકરણ છે.

(૪) સાત્વિક પ્રકરણ – જેના ત્રણ અવાંતર કરણ છે. 

(૫) ગુણપ્રકરણ – જેના છ. અધ્યાય છે.

શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પાંચ પ્રકરણમાં બિરાજતા શ્રીકૃષ્ણ પાંચ પ્રકારે મારા હૃદયમાં  બિરાજે છે તેમને હું નમન કરું છું. || ૫ ||

Like 18