શ્રીયમુનાજી ની સ્તુતિ

શ્રી કૃષ્ણના ચરણારવિંદની, રજ થકી શોભી રહ્યાં;
સિદ્ધિ અલૌકિક આપનારાં, વંદુ શ્રી યમુનાજીને…
સુપુષ્પની સુવાસથી, જંગલ બધું મહેંકી રહ્યું,
ને મંદ શીતલ પવનથી, જલ પણ સુગંધિત થઈ રહ્યું;
પૂજે સુરાસુર સ્નેહથી, વળી સેવતાં દૈવી જીવો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૧)
મા ! સૂર્ય મંડળ છોડીને, બહુ વેગથી આવી રહ્યાં,
ત્યાં કલિન્દના શિખર ઉપર, શોભા અતિ સુંદર દીસે;
એ વેગમાં પથ્થર ઘણા, હરખાઈને ઉછળી રહ્યા,
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક, ઉછળતાં શોભી રહ્યાં;
હરિ હેતના ઝૂલા ઉપર, જાણે બિરાજ્યાં આપ હો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૨)
શુક મોર સારસ હંસ આદિ, પક્ષીથી સેવાયેલાં,
ગોપીજનોનાં સેવ્ય ભુવન, સ્વજન પાવન રાખતાં;
તરંગ રૂપ શ્રી હસ્તમાં, રેતી રૂપી મોતી તણાં,
કંકણ સરસ શોભી રહ્યાં, શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે;
નિતમ્બ રૂપ શ્રી તટતણું, અદ્ભુત દર્શન થાય જો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૩)
અનન્ત ગુણથી શોભતાં, સ્તુતિ દેવ બ્રહ્મા-શિવ કરે,
ઘનશ્યામ જેવું મેઘ સમ છે, સ્વરૂપ સુંદર આપનું;
વિશુદ્ધ મથુરા આપના, સાનિધ્યમાં શોભી રહ્યાં,
સહુ ગોપ ગોપી વૃન્દને, ઈચ્છિત ફળ આપી રહ્યાં;
મમ કોડ સૌ પૂરા કરો, જ્યમ ધ્રુવ પરાશરના કર્યા,
વંદન કરુ શ્રી યમુના જી ને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો…(૪)
શ્રી કૃષ્ણનાં ચરણો થકી, શ્રી જાહ્નવી ઉત્પન્ન થયાં,
સત્સંગ પામ્યાં આપનો ને, સિદ્ધિ દાયક થઈ રહ્યાં;
એવું માહાત્મ્ય છે આપનું, સરખામણી કોઈ શું કરે,
સમ કક્ષમાં આવી શકે, સાગર સુતા એક જ ખરે;
એવાં પ્રભુને પ્રિય ! મારા, હૃદયમાં આવી વસો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો…(૫)
અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી,
યમ યાતના આવે નહિ, મા ! આપના પય પાનથી;
કદી દુષ્ટ હોઈએ તોય પણ, સંતાન છીએ અમે આપનાં,
સ્પર્શે ન અમને કોઈ ભય, છાયા સદા છે આપની;
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં, એવી કૃપા બસ રાખજો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો…(૬)
શ્રી કૃષ્ણને પ્રિય આપ છો, મમ દેહ સુંદર રાખજો,
ભગવદ્ લીલામાં થાય પ્રિતી, સ્નેહ એવો આપજો;
જયમ આપના સંસર્ગથી, ગંગાજી પુષ્ટિમાં વહ્યાં,
મમ દેહ મન શ્રીકૃષ્ણને, પ્રિય થાય એવાં રાખજો;
વિરહાર્તિમાં હે માત ! મારા, હૃદયમાં બિરાજજો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૭)
હું આપની સ્તુતિ શું કરું, માહાત્મ્ય અપરંપાર છે,
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી, મોક્ષનો જ અધિકાર છે;
પણ આપની સેવા થકી, અદ્ભુત જલ ક્રીડા તણાં,
જલનાં અણુની પ્રાપ્તિ થાયે, ગોપીજનોના સ્નેહનાં;
એ સ્નેહનું સુખ દિવ્ય છે, મન મારું એમાં સ્થાપજો,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૮)
કોઈ સ્નેહથી કરશે સદા, આ પાઠ યમુનાષ્ટક તણો,
નિશ્ચય પ્રભુને પ્રિય થશે, ને નાશ થાશે પાપનો;
સિદ્ધિ સકલ મળશે અને, શ્રીકૃષ્ણમાં વધશે પ્રિતી,
આનંદ સાગર ઉમટશે ને, સ્વભાવ પણ જાશે જીતી;
જગદીશને વ્હાલા અમારા, શ્રી વલ્લભાધીશ ઉચ્ચરે,
વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો… (૯)

Like 3