શ્રીનાથજી ની ઊર્ધ્વ ભુજા દર્શન

 શ્રીનાથજી ના પ્રાકટ્ય નું ધોળ

ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધનનાથ રે,

નંદ-જશોમતી કેરા લાલન,વ્રજ  સૌ કીધૂ સનાથ, ગોવર્ધન રસિયા રે,

મારે મન વસિયા વ્રજનાથ, મધુરું  વ્હાલો હસિયા રે (ટેક),

શ્રાવણ  સુદ પાંચમના દહાડે, થયું ભુજા દર્શન રે,

ગિરિકંદરામાં બિરાજે વ્હાલો, શું કહું પ્રસન્ન વદન.. ગોવર્ધન ||૧||

ધણા દિવસ ભુજાનું પુજન, ચાલ્યું તે વ્રજમાય રે,

દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કહ્યો  ન જાય.. ગોવર્ધન ||૨||

છીદ્ર સહિત શિલા ગિરિવરની, તેમાં શ્યામ સ્વરૂપ રે,

એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે  તદરૂપ.. ગોવર્ધન ||૩||

એક બ્રાહ્મણની ગાય હતી તેણે, પૂછ્યું  ગોવાળીયાને  પેરરે,

દૂધ  ઘટે છે નિત્ય કેમ મારું? દોહી લઈ જાય તું ઘેર.. ગોવર્ધન ||૪||

ત્યારે ગોવાળીયાએ એમ કહ્યું, કે  ખબર કાઢુ નિરધાર રે,

કોણ  પ્રકાર થાય છે, આ ગૌ નો, સમજાવી કહું સાર.. ગોવર્ધન ||૫||

સાંજ સવાર ગૌ ટોળામાંથી, ગિરિવર ઉપર જાય રે,

ઊભી રહીને દુધ સ્રર્વે નિત્ય, પ્રાણજીવનને પાય.. ગોવર્ધન ||૬||

ગો પ્રકાર જોઈ ગોવાળીઓ બ્રાહ્મણને લાવ્યો સંગ રે,

અચરજ જોઈ વિસ્મય થયું મન, કહાવ્યુ સૌને ઉમંગ.. ગોવર્ધન ||૭||

સૌ વ્રજવાસી ગિરિપર આવ્યા, બોલ્યા મુખથી બોલ રે,

કોઈ દેવતા કે દ્રવ્ય હોય તેમ, કીધો મુખથી તોલ.. ગોવર્ધન ||૮||

ગિરિશીલા ઉંચકીને જોયું તો, દીઠા સુંદર શ્યામ રે,

પૂછ્યું દેવતા પર્વત કેરા,  શું છે તમારું નામ.. ગોવર્ધન ||૯||

પ્રાણજીવન ત્યારે એમ બોલ્યા,કે દેવદમન મુજ નામ રે,

મહિમા ચાલ્યો વ્રજમાં ઝાઝો, પૂર્ણ કરે  મનકામ.. ગોવર્ધન ||૧0||

દહીં-દૂધ વ્રજવાસી કેરા, આરોગે નંદલાલ રે,

ઝાર ખંડમાં જઈ મહાપ્રભુજીને, આજ્ઞા કરી તત્કાલ.. ગોવર્ધન ||૧૧||

ઈન્દ્ર-નાગને દેવદમન તે, પ્રગટ થયા વ્રજમાંહે રે,

ગિરિવર ઉપર આપ પધારો, સેવા ચલાવોને ત્યાંહ.. ગોવર્ધન ||૧૨||

મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા, સદુ પાંડને ઘેર રે,

વચન સુણ્યા  ગિરિવર પ્રભુનાં, વાત પૂછી કરી પેર.. ગોવર્ધન ||૧૩||

સદૂપાંડે શ્રી મહાપ્રભુને કહે  છે, પ્રાગટ્યનો પ્રકાર રે,

દેવદમન નામે પ્રગટ્યા છે, મહિમા અપરંપાર .. ગોવર્ધન ||૧૪||

ગિરિવર ઉપર આપ પધાર્યા, સામા મળ્યા નિજનાથ રે,

અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું, જોડયા પછી બે હાથ.. ગોવર્ધન ||૧૫||

ગોવર્ધન ઉધા૨ણ ધીરનું, નામ ધર્યું શ્રીનાથ રે,

મોરપિચ્છનો મુગટ ધરાવ્યો, બંસી દીધી હાથ.. ગોવર્ધન ||૧૬||

પાટે બેસાડીને ભોગ ધરાવ્યો, ત્યાંથી પધાર્યા આપ રે,

નિજજન  મન આનંદ વધાર્યો, દૂર કીધા તનતાપ.. ગોવર્ધન ||૧૭||

Like 2